આપણા સૌરાષ્ટ્રની ભૂમિ મહાપુરુષોને કારણે ઘણી પાવન છે. તેમજ ગુજરાતના અન્ય પ્રદેશોમાં પણ મહાન સંતો થઈ ગયા છે. એવા એક મહાન ઓલિયા સંત શ્રી દાદા મેકરણ ક્ચ્છ પ્રદેશ માં ૧૭મી સદીમાં થઈ ગયા હતાં. સંત દાદા મેકરણ નો જન્મ ક્ચ્છ જીલ્લાના ધ્રંગ ગામે ભાટ્ટી રાજપૂત હરગોપાલજીના ઘરે થયો હતો. તેમના માતાનું નામ પન્તાબાઈ હતું. દાદા મેકરણ જન્મ બાપા જલારામની જેમ લોકકલ્યાણઅર્થે જ થયો હતો. દાદા મેકરણ બાળપણનું નામ મોકાયજી હતું, દાદા નાનપણથી જ લોકસેવામાં અને પ્રભુભક્તિમાં રચ્યાપચ્યા રહેતા તેમાં તેમને અનેરો આનંદ આવતો હતો આથી પિતાના પારંપારિક ધંધામાં રસ ન દાખવી માત્ર ૧૨વર્ષની ઉંમરમાં જ દાદાએ સાધુ તરીકે દીક્ષા લીધી હતી અને મોકાયજી માંથી મેકરણ થયા અને ગીરનારી સંતો ની આજ્ઞા અને ઈચ્છા થી ક્ચ્છ ના રણ પ્રદેશ માં પોતાનું સેવા કાર્ય વિસ્તાર્યું. તેઓ જાતે પોતાના ખભા પર પાણીનાં માટલાં તથા રોટલા ભરેલી કાવડ લઈને પગપાળા જ વિચરતા રહેતા અને કચ્છના રણમાં ભૂખ્યા તરસ્યા લોકોને શોધી શોધીને ભોજન તથા જળ પીવડાવી તેઓની સેવા કરતા હતા. દાદા અંહિ શ્રી ગુરુ ગંગારાજા પાસેથી ઉપદેશ લીધો અને કાપડી પંથ ને વધુ પ્રકાશમાં લાવ્યા. દાદા મેકરણ મહાન સમર્થ સંત હતા. જેથી તેમના કાપડી પંથ માં એક નવી શાખા શરું થઈ જે હાલમાં મેકાપંથી નામે ઓળખાય છે.
એક વખત તીર્થ યાત્રા દરમિયાન હરિદ્વારમાં પવિત્ર ગંગામાં સ્નાન કર્યા પછી કાવડમાં ગંગાજળ ભરીને દાદા સાધુ-સંતોની જમાત સાથે જતા હતા. તે વખતે માર્ગમાં કોઈ જંગલી પ્રાણીએ એક ગધેડા પર હિંસક હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો અને ગધેડો જીવવા માટે તરફડતો હતો. દાદા મેંકરણથી આ કરુણતા જોવાઈ નહીં આથી તેમણે તરત જ પોતાની કાવડમાં ભરેલું થોડું ગંગાજળ ગધેડા પર છાંટયું અને થોડું ગધેડાને પીવડાવ્યું તથા તેના ઘાવ સાફ કર્યાં. આમ કરવાથી ગધેડાને થોડી પીડામાં રાહત થઈ. આ જોઈને જમાતના સાધુ-સંતો દાદા પર ફિટકાર વરસાવવા, તિરસ્કારવા લાગ્યા અને બોલવા લાગ્યા કે તમે આ શું કર્યું ? પવિત્ર ગંગાજળ ગધેડાને પાઈને તમે ગંગાજીનું અપમાન કર્યું છે. સમર્થ દાદા મેંકરણ જરાય વિચલિત થયા વગર સાધુઓને કહ્યું. “પીપરમેં પણ પ્રાણ નાય, બાવરમેં બ્યોં, નીમમેં ઉ નારાયણ તો કંઢેમેં (ગધેડામાં) ક્યોં?” અર્થાત જો પીપળામાં જે પ્રાણ છે તે બાવાળમાં પણ છે, જો લીમડામાં નારાયણ હોય તો આ પ્રાણીમાં કેમ નહી” આ સાંભળી જમાતના સાધુઓ અવાક થઈ ગયાં અને દાદાના ચરણે પડી ગયા. આપછી ગધેડો દાદા સાથે રહેવા લાગ્યો જેનું નામ દાદાએ ‘લાલીયો’ રાખ્યું હતું સમય જતા એક કુતરો પણ દાદા સાથે રહેવા લાગ્યો તેનું નામ દાદાએ ‘મોતીયો’ રાખ્યું હતું. આમ લાલિયા તથા મોતિયાની જોડી જામી ગઈ અને આ શ્વાન અને ગધેડો દાદાની સાથે સેવાકાર્યમાં જોડાય ગયા હતાં. દાદાની ઉંમર થતા લાલીઓ પાણી, રોટલા નો ભાર વાહન કરતો અને મોતીયો ગંધ પારખવાની શક્તિ દ્વારા લાલિયાને માર્ગ નિર્દેશન કરી રણમાં અટવાયેલા, ભૂખ્યા તરસ્યા લોકોને શોધી ભોજન તથા પાણી આપતા, આમ દાદા અને તેના બે વફાદાર સાથીદારો સાથે સમગ્ર જીવન ક્ચ્છના રણમાં લોકોની સેવામાં વિતાવ્યું હતું. અને અબોલ પ્રાણીઓ માં પણ સમજદારી અને વફાદારી હોય છે તે દાદાએ દુનિયાને પ્રમાણ આપી દીધું હતું.
મેકરણ દાદાનું સમાધી સ્થળ
આમ દાદાએ પોતાના જીવનમાં સતત ૬૫વર્ષ ક્ચ્છના રણમાં લોકસેવામાં વિતાવી સવંત ૧૭૮૬ માં ધ્રંગલોડાઈ સ્થળે તેમના અન્ય ૧૧ શિષ્યો સાથે જીવતા સમાધી લિધી પાછળથી લાલદાસ અને મોતીરામ નામના દાદાના સાથીદારો એ પણ સમાધી લીધેલી. આજે પણ આ સ્થળે ૧૧ સમાધી ના દર્શન છે. તેમની શિષ્ય પરંપરા કાપડી શાખા થી ઓળખાય છે.